વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય
કંપનીઓની કામગીરી અપેક્ષા કરતાં નબળી રહી છે. મંદ માંગને કારણે આવક વૃદ્ધિ ઘણા
ત્રિમાસિકની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ નજીકના
ભવિષ્યમાં ઝડપી સુધારો થવાની શક્યતા ઓછી છે, જો કે જીએસટી દરમાં ઘટાડાથી માંગમાં
વધારો થવાની ધારણા છે.
નિફટી ૫૦માં ઊર્જા, બેન્કિંગ,
નાણાં અને વીમા ક્ષેત્ર સિવાયની ૩૫ કંપનીઓના નેટ વેચાણમાં વર્ષગાળે ૬.૬૦% વધારો
થયો, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદની સૌથી નીચી વૃદ્ધિ છે. નેટ પ્રોફિટમાં ૫.૩૦%નો વધારો
થયો, જે છેલ્લા નવ ત્રિમાસિકનો સૌથી નબળો વધારો છે, જ્યારે કાર્યકારી નફામાં ૭.૧૦%ની
વૃદ્ધિ જોવા મળી. નિફટી ૫૦૦ની ૩૯૦ કંપનીઓમાં પણ આવક વૃદ્ધિ ત્રણ ત્રિમાસિકની સૌથી
નીચી સપાટીએ અને નફામાં વધારો નવ ત્રિમાસિકની સૌથી નબળી સપાટીએ રહ્યો.
કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રમાં વોલ્યુમ વૃદ્ધિ સ્થિર
રહી, પરંતુ કાચા માલના ઊંચા ભાવને કારણે નફાશક્તિ ઘટી ગઈ. જો ઓક્ટોબરથી જીએસટી
દરમાં ઘટાડો અમલમાં આવશે, તો તેની સકારાત્મક અસર નાણાકીય વર્ષના બીજા ભાગમાં જોવા મળી
શકે છે. આઈટી કંપનીઓ પર વૈશ્વિક અનિશ્ચિતતા, મંદ
વિવેકાધીન ખર્ચ અને ક્લાયન્ટ્સના નિર્ણયમાં વિલંબને કારણે દબાણ જોવા મળી રહ્યું
છે. બીજી તરફ,
રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલમાં તુલનાત્મક રીતે મજબૂત
સ્થિતિમાં છે અને બજાર માટે હકારાત્મક સંકેત આપી રહ્યું છે.