ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ચાર ગણાથી વધુ વધીને ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. ઈકરા (ICRA) ના ડેટા મુજબ, જુલાઈ ૨૦૨૦માં જ્યાં AUM રૂ.૭.૬૫ લાખ કરોડ હતી, ત્યાં જુલાઈ ૨૦૨૫ સુધીમાં તે ૩૩૫.૩૧% નો વધારો દર્શાવી રૂ.૩૩.૩૨ લાખ કરોડ થઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે રોકાણ પ્રવાહમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જુલાઈ ૨૦૨૦માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ.૩,૮૪૫ કરોડનો આઉટફ્લો થયો હતો, જ્યારે જુલાઈ ૨૦૨૫માં રૂ.૪૨,૬૭૩ કરોડનો ચોખ્ખો ઇનફ્લો નોંધાયો હતો.
જુલાઈ ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ઇનફ્લો ૧૫.૦૮% વધ્યો હતો. જુલાઈ ૨૦૨૪માં આ આંકડો રૂ.૩૭,૦૮૨ કરોડ હતો, જ્યારે જુલાઈ ૨૦૨૫માં તે વધીને રૂ.૪૨,૬૭૩ કરોડ રહ્યો હતો. માસિક ધોરણે જોવામાં આવે તો, જુલાઈમાં ઇનફ્લો ૮૧.૦૬% જેટલો ઝડપી વધારો દર્શાવે છે. ઈકરાના જણાવ્યા મુજબ, સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) બજારની અસ્થિરતા વચ્ચે એક લોકપ્રિય સાધન બની ગયું છે. રોકાણકારોને નિશ્ચિત રકમ નિયમિત રીતે રોકાણ કરવાની સુવિધા મળે છે, જેનાથી તેમને રૂપિયાના સરેરાશ ખર્ચનો લાભ મળે છે. કિંમતો ઓછી હોય ત્યારે વધારે યુનિટ મળે છે અને કિંમતો ઊંચી હોય ત્યારે ઓછી યુનિટ મળે છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં સ્થાનિક રોકાણકારોએ લાંબા
ગાળાના દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તેઓ સમજે છે કે ટૂંકા ગાળાના વધઘટ સંપત્તિ
નિર્માણની સફરનો એક ભાગ છે. ભૂતકાળના ડેટા દર્શાવે છે કે સમય જતાં બજારો સ્વસ્થ
થાય છે અને ધીરજ ધરનારા રોકાણકારોને સારું વળતર મળે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, ભારતની આર્થિક પ્રગતિને લઈને સ્થાનિક રોકાણકારો
આશાવાદી રહ્યા છે.
જુલાઈ ૨૦૨૫માં, ક્ષેત્રીય અને થીમેટિક ફંડ્સમાં સૌથી વધુ રૂ.૯,૪૨૬ કરોડનું રોકાણ નોંધાયું હતું. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ પરંપરાગત બચત સાધનો કરતાં વધુ સારું વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તમામ કેટેગરીમાં હકારાત્મક વળતર મળ્યું છે, જે રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.




