ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરબજારમાંથી રૂ.૩૪,૯૯૩ કરોડ (લગભગ ૪ બિલિયન ડોલર) જેટલા નાણાં પાછા
ખેંચી લીધા હતા. આ છેલ્લા છ મહિનામાં સૌથી મોટી વેચવાલી ગણાઈ રહી છે. આ
પરિસ્થિતિના મુખ્ય કારણોમાં અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ૫૦%
ટેરિફ તથા સ્થાનિક બજારમાં ઊંચા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. જુલાઈમાં એફપીઆઈએ
રૂ.૧૭,૭૪૧ કરોડ જેટલા નાણાં ઉપાડ્યા હતા, પરંતુ ઓગસ્ટમાં આ આંકડો લગભગ બમણો થયો હતો. આ સાથે
૨૦૨૫ની શરૂઆતથી અત્યાર સુધી વિદેશી રોકાણકારોનો કુલ ઇક્વિટી ઉપાડ ૧.૩ લાખ કરોડને
પાર કરી ગયો છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વેચવાલી સ્થાનિક અને
વૈશ્વિક બંને પરિબળોનું પરિણામ છે. ફેબ્રુઆરી બાદ આ સૌથી મોટી વેચવાલી છે, જ્યારે એફપીઆઈએ રૂ.૩૪,૫૭૪
કરોડના શેર વેચ્યા હતા. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી રોકાણકારોના
સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર થઈ છે. તેનાથી ભારતની વેપાર સ્પર્ધાત્મકતા અને
ભવિષ્યની વૃદ્ધિની સંભાવનાઓ અંગે ચિંતા વધેલી જોવા મળી છે. સાથે જ જૂન ક્વાર્ટરના
કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોના પરિણામો અપેક્ષાઓ મુજબ ન આવતા રોકાણકારો વધુ સાવચેત
બન્યા છે.
શેરના ઊંચા મૂલ્યાંકનને કારણે ભારતની તુલનામાં અન્ય બજારો આકર્ષક લાગી રહ્યા છે. તેથી વિદેશી રોકાણકારોએ પોતાના નાણાં અન્ય બજારોમાં ખસેડ્યા છે. તેમ છતાં, પ્રાયમરી માર્કેટમાં વિદેશી રોકાણકારો હજી સક્રિય રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેઓએ આઈપીઓ મારફતે રૂ.૪૦,૩૦૫ કરોડનું રોકાણ કર્યું છે.




