સમાપ્ત
થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની જાહેર ક્ષેત્રની (પીએસયુ) બેન્કોનો એકંદર નફો
વાર્ષિક ધોરણે ૨૬% વધી રૂ.૧.૭૮ લાખ કરોડ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જાહેર
ક્ષેત્રની ૧૨ બેન્કોએ કુલ રૂ.૧.૪૧ લાખ કરોડનો નફો કર્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫માં
જાહેર ક્ષેત્રની બાર બેન્કોએ કરેલા રૂ.૧,૭૮,૩૬૪ કરોડના નફામાં ૪૦% હિસ્સો સ્ટેટ
બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નો રહેલો હોવાનું બીએસઈ પર જાહેર કરાયેલા આંકડા પરથી કહી
શકાય એમ છે.
એસબીઆઈએ રૂ.૭૦,૯૦૧ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં કરેલા રૂ.૬૧,૦૭૭ કરોડની સરખામણીએ ૧૬% વધુ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પંજાબ નેશનલ બેન્કના નફામાં વાર્ષિક ધોરણે ૧૦૨% વૃદ્ધિ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં બેન્કે રૂ.૧૬,૬૩૦ કરોડનો નફો કર્યો છે. ગયા નાણાં વર્ષમાં દરેક જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૧૮માં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ.૮૫,૩૯૦ કરોડની ખોટ કરી હતી.





