ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં ફોરેન
પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની કસ્ટડી હેઠળની સંપત્તિ એટલેકે એયુસી સ્થિર રહી છે.
ડિસેમ્બર ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫માં એકંદર એફપીઆઈની એયુસી એટલેકે ભારતીય બજારમાં
રોકાણનું કુલ બજાર મૂલ્ય ૧ ટકા વધીને રૂ.૭૧.૯ લાખ કરોડ થયું છે. જોકે એફપીઆઈ
ફ્રેન્ઝી સેક્ટર ગણાતા આઈટી હોલ્ડિંગમાં રૂ.૨ લાખ કરોડનો ઘટાડો થયો છે તો સામે
પક્ષે ફાઈનાન્શિયલ શેરોમાં વધારાને કારણે સંતુલિત થયો છે. કસ્ટડી હેઠળની સંપત્તિનું
કુલ બજાર મૂલ્ય છે.
એનએસડીએલ દ્વારા સંકલિત ડેટા અનુસાર જુલાઈના અંત
સુધીમાં આઈટી ક્ષેત્રનો એયુસી રૂ.૫.૩ લાખ કરોડ હતો, જ્યારે
૨૦૨૪ના અંત સુધીમાં તે રૂ.૭.૩ લાખ કરોડ હતો એટલેકે ૨૭.૨ ટકાનો ઘટાડો થયો છે. આ
વર્ષે સુસ્ત આઉટલુક વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રૂ.૫૦,૦૦૦ કરોડના મોટાપાયે વેચાણ પછી આ ક્ષેત્રના
હોલ્ડિંગમાં આ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આ વર્ષે અત્યાર
સુધીમાં ૧૮ ટકા ઘટયો છે,
જે ટોચના મુખ્ય સેક્ટરોમાં સૌથી વધુ છે. સામે પક્ષે
આ જ સમયગાળામાં નિફ્ટીમાં ૬ ટકાનો વધારો નોંધાયો છે.
આઈટી ઉપરાંત, કન્ઝયુમર
ડયુરેબલ સેક્ટરમાં એફપીઆઈ હોલ્ડિંગનું મૂલ્ય ૧૩ ટકા ઘટીને રૂ.૨.૧૮ લાખ કરોડ થયું
છે,
જ્યારે રિયલ્ટી શેરોનું મૂલ્ય ૧૮ ટકા ઘટીને રૂ.૧.૭
લાખ કરોડ થયું છે. સામે પક્ષે જુલાઈના અંત સુધીમાં ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરના
શેરોની એયુસી ૧૧ ટકા અથવા રૂ.૨.૨૭ લાખ કરોડ વધીને રૂ.૨૨.૭ લાખ કરોડ થઈ છે. આ સિવાય
ટેલિકોમ ક્ષેત્રમાં હિસ્સો ૨૮ ટકા વધીને રૂ.૩.૪૯ લાખ કરોડ થયો છે.