ભારત માટે તાજેતરમાં બે મહત્વપૂર્ણ સકારાત્મક સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા જીએસટી દરમાં ફેરફારના સંકેત આપવામાં આવ્યા છે, જ્યારે એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ એક સ્તર ઉપર સુધાર્યું છે અને આઉટલુકને ‘સ્થિર’ રાખ્યું છે. આ પગલાં બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરે છે અને દેશની આર્થિક વિશ્વસનીયતા અંગે સકારાત્મક સંકેત આપે છે.
પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ હકારાત્મક સમાચારોથી વિદેશી રોકાણકારોની તાત્કાલિક વાપસી શક્ય નથી. તેઓ કહે છે કે વાસ્તવિક તેજી ત્યારે જ આવશે જ્યારે કંપનીઓની કમાણીમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને નીતિગત વાતાવરણ સ્થિર રહેશે. NSDLના આંકડા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ.૧.૧૭ લાખ કરોડના શેર વેચ્યા છે. માત્ર જાન્યુઆરીમાં જ સૌથી મોટું વેચાણ નોંધાયું હતું, જે રૂ.૭૮૦૦૦ કરોડ જેટલું હતું, જ્યારે ઓગસ્ટ સુધીમાં વધારાના રૂ. ૨૨૨૦૦ કરોડના શેર તેઓએ ઘટાડ્યા છે.
વિદેશી રોકાણકારો હાલ ઉભરતા બજારો તરફ નજર રાખી રહ્યા છે, કારણ કે અમેરિકામાં AIઆધારિત તેજીથી શેરના ભાવ ખૂબ ઊંચા પહોંચી ગયા છે. ભારતે પાછલા ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન કર્યું છે, પરંતુ નિષ્ણાતોને આશા છે કે ૨૦૨૫-૨૬ના બીજા ભાગમાં પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. તહેવારોની મોસમ, રિઝર્વ બેંક તરફથી વ્યાજ દર ઘટાડાની શક્યતા અને સરકારના વધુ નીતિગત નિર્ણયોથી કંપનીઓની કમાણીમાં વધારો થવાની ધારણા છે.
લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સોવરિન રેટિંગ અપગ્રેડ ભારત માટે ખૂબ સકારાત્મક છે, પરંતુ હાલના સમયમાં ટેરિફ (આયાત ડયુટી) સૌથી મોટું જોખમ છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જો ટેરિફ સંબંધિત પરિસ્થિતિને કારણે શેરબજારમાં ઘટાડો થાય, તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક બની શકે છે.