રિઝર્વ
બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)ની તાજેતરમાં જ મીટિંગ
બાદ આશ્ચર્યજનક રીતે રેપો રેટમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો અને કેશ રિઝર્વ રેશિયો
(સીઆરઆર)માં ચાર તબક્કામાં એક ટકાનો કુલ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયાના ગણતરીના
દિવસોમાં જ બેંકોએ તેમના ગ્રાહકો-થાપણદારોને મળતાં વ્યાજ વળતરમા ઘટાડો કરવા માંડયો
છે. જેથી બેંકોમાં થાપણો મૂકવા પર હવે ઓછું વ્યાજ વળતર મળશે. ઉલ્લેખનીય છે કે, બેંકો
દ્વારા તાજેતરના મહિનાઓમાં રેપો રેટમાં ઘટાડા બાદ દરેક વખતે થાપણો પરના વ્યાજ
દરમાં સતત ઘટાડો કરાયો છે. આ નવો ઘટાડો કરાતાં બેંકોમાં થાપણો પરના વ્યાજ વળતરમાં
મોટો ઘટાડો થયો છે.
દેશની
ખાનગી ક્ષેત્રની બે ટોચની બેંકો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે રૂ.૩ કરોડથી
ઓછી રકમની કેટલીક મુદ્દતી થાપણો પરના વ્યાજ દરમાં ૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો
છે. એચડીએફસી બેંકે રૂ.૫૦ લાખથી ઉપરની સેવિંગ્સ એકાઉન્ટ થાપણો પરના વ્યાજ દરમાં ૫૦
બેઝિઝ પોઈન્ટ એટલે કે અડધા ટકાનો ઘટાડો કર્યો છે. હવે બેંક તમામ સેવિંગ્સ-બચત
થાપણો પર એકસમાન ૨.૭૫ ટકા વ્યાજ દર ઓફર કરે છે. અગાઉ બેંક રૂ.૫૦ લાખ સુધીની
બેલેન્સ પર સેવિંગ્સ માટે ૨.૭૫ ટકા વ્યાજ દર ઓફર કરતી હતી અને રૂ.૫૦ લાખથી વધુ
સેવિંગ્સ બેલેન્સ પર ૩.૨૫ ટકા વ્યાજ આપતી હતી. આ વ્યાજ દર ફેરફારના પગલે એચડીએફસી
બેંકની રૂ.૩ કરોડથી ઓછી વિવિધ મુદ્દતી ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે ૨.૭૫ ટકાથી ૬.૬૦ ટકા
વાર્ષિક વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકો માટે ૩.૨૫ ટકાથી ૭.૧૦ ટકાનું વ્યાજ મળશે.
જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકે પણ વ્યાજ દરમાં ઘટાડો કરીને ફિક્સ્ડ ડિપોઝીટમાં રૂ.૩ કરોડથી ઓછી રકમ માટે ૩ ટકાથી ૬.૬ ટકા અને સીનિયર સિટીઝનો માટે ૩.૫ ટકાથી ૭.૧૦ ટકાની રેન્જમાં વ્યાજ દર કર્યા છે. આ સિવાય ઈન્ડિયન બેંકે પણ તેના ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ૫૦ બેઝિઝ પઈન્ટનો ઘટાડો ૯, જૂન ૨૦૨૫થી કર્યો છે. જેમાં એકથી બે વર્ષની મુદ્દતી થાપણ પરના વ્યાજ દર ૭.૧ ટકાથી ઘટાડી ૬.૬ ટકા અને ૪૪૪ દિવસની થાપણ પર ૭.૧૫ ટકાથી ઘટાડી ૬.૯ ટકા કર્યા છે. જ્યારે બે થી ત્રણ વર્ષની થાપણ માટે વ્યાજ દર ૬.૭ ટકાથી ઘટાડી ૬.૪૦ ટકા કર્યા છે. પાંચ વર્ષ માટે ૬.૨૫ ટકાથી ઘટાડી ૬ ટકા અને પાંચ વર્ષથી વધુ મુદ્દત માટેની થાપણના ૬.૧૦ ટકાથી ઘટાડી ૬ ટકા કર્યા છે.