લિસ્ટેડ
બેંકોએ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫માં વાર્ષિક
ધોરણે ચોખ્ખા નફામાં ૪.૪% વૃદ્વિ નોંધાવી એક્ત્રિત રૂ.૯૪,૨૨૮ કરોડનો ચોખ્ખો નફો
હાંસલ કર્યો છે. જે ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૩.૭% વધ્યો છે. જાહેર ક્ષેત્રની
બેંકોના નફામાં આ સમયગાળામાં વૃદ્વિ ૧૨.૯% રહી ૧૨ પીએસયુ બેંકોનો મળીને ચોખ્ખો નફો
રૂ.૪૮,૩૭૦ કરોડ થયો છે. જ્યારે ખાનગી ક્ષેત્રની ૨૦ બેંકોએ કુલ રૂ.૪૫,૮૫૮ કરોડનો
ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૩% ઘટયો છે.
ઉલ્લેખનીય
છે કે, ભારતની પાંચમી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ઈન્ડસઈન્ડ બેંકે ચોથા
ત્રિમાસિકમાં રૂ.૨૩૨૯ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ડેરિવેટીવ્ઝમાં નુકશાની
અને માઈક્રો ફાઈનાન્સ એકાઉન્ટિંગને કારણે રહી છે. બેંકોની ચોખ્ખી વ્યાજ આવકમાં
વૃદ્વિ આ ત્રિમાસિકમાં એક આંકમાં રહી છે, ખાનગી ક્ષેત્રે ૪.૫% અને પીએસયુ બેંકોમાં
૨.૭% વૃદ્વિ રહી છે. જે વિવિધ કારણોસર જેમ કે રેપો રેટ ફેબ્રુઆરીમાં ૨૫ બેઝિઝ
પોઈન્ટ ઘટાડવાના કારણે પાયાની આવક વૃદ્વિને અસર થઈ છે.
ચોખ્ખી વ્યાજ આવકમાં ધીમી ૭%ની વૃદ્વિ થઈ છે. જે નાણા વર્ષ ૨૦૨૫માં થાપણોના દરોમાં ફેરફારની સંપૂર્ણ અસરને લઈ ગત વર્ષના નેટ વ્યાજ માર્જિન ૩.૨% હતું, એ ઘટીને ૩% થવાના કારણે પણ જોવાયું છે. નેટ વ્યાજ માર્જિન નાણા વર્ષ ૨૦૨૫માં ઘટયું હોવા સામે ધિરાણ ખર્ચમાં ૧૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થયો છે. જેથી નફાકારકતામાં કંઈક અંશે અસર જોવાઈ છે. આ સાથે આટલા જ પ્રમાણમાં ઓપરેટીંગ ખર્ચ બચતોથી અસ્કયામતો પરનું વળતર સ્થિર જળવાયું છે.