મૂડી
બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા
ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં નાના રોકાણકારોની ખુવારીને રોકવા સખ્ત પગલાં લેવાયા બાદ
આ સેગ્મેન્ટમાં ઓછી મૂડી ધરાવતા નાના રોકાણકારો-ટ્રેડરોની હિસ્સેદારીમાં ઘટાડો થયો
હોવાનું રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટમાં જણાવાયું છે. માર્ચ મુજબ નેશનલ સ્ટોક
એક્સચેન્જ (એનએસઈ)માં રૂ.૧૦,૦૦૦થી ઓછા માસિક પ્રીમિયમ ટર્નઓવર સાથેના રોકાણકારોની
સંખ્યામાં વાર્ષિક ધોરણે ૪૯% સુધી ઘટાડો થયો છે. જ્યારે રૂ.૧૦,૦૦૦થી રૂ.૧ લાખ
સુધીના ટર્નઓવર ધરાવનારામાં ૩૭% ઘટાડો થયો હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું છે.
સેબી દ્વારા દેશના ૯૦%થી વધુ ટ્રેડરો ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં નુકશાની કરી રહ્યાના અભ્યાસના ચોંકાવનારા તારણ બાદ એફ એન્ડ ઓમાં નાના ટ્રેડરોના પ્રવેશને રોકવા માટે કોન્ટ્રેક્ટ લોટ સાઈઝમાં વધારો કરાયા સાથે વિક્લી એક્સપાયરીમાં પણ ફેરફાર કરાયો હતો. ઈકરાના રિપોર્ટ મુજબ તેનાથી વિપરીત, વધુ માસિક પ્રીમિયમ ટર્નઓવર ધરાવતા રોકાણકારોની સંખ્યા પર પ્રમાણમાં ઓછી અસર પડી હતી. ઓછા ટર્નઓવર રેન્જમાં રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થવાથી પ્રીમિયમ એડીટીઓ (સરેરાશ દૈનિક ટર્નઓવર)માં ઘટાડો થયો છે, ખાસ કરીને રૂ.૧ લાખથી ઓછા માસિક પ્રીમિયમ ટર્નઓવર ધરાવતા જૂથો માટે આ જોવાયું હોવાનું ઈકરાએ નોંધ્યું છે.