ભારતના
અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ
રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા
છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક
રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ ૨૦૨૫માં ૬.૨-૬.૩ ટકા
રહેવાનો અંદાજ છે. ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના
છે.
એસબીઆઈ
રિસર્ચે રિપોર્ટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક અનિશ્વિતતાઓ હોવા છતાં ભારતની
અર્થવ્યવસ્થા મજબૂત બની છે. જાન્યુઆરીથી માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી
ગ્રોથ ૬.૪ ટકા- ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. એસબીઆઈના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર
ડો. સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, જો NSO પ્રથમ, બીજા અને
ત્રીજા ત્રિમાસિકના આંકડાઓમાં મોટો ફેરફાર ન કર્યો તો આપણો જીડીપી ગ્રોથ અંદાજ ૬.૩
ટકા રહેશે. ચોમાસુ સારૂ રહેવાની સંભાવના સાથે મોંઘવારીમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
જે માગ આધારિત ગ્રોથમાં વધારો કરશે.
ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીએ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૨૦૨૫-૨૬માં ૬.૧ ટકા આપ્યો હતો. જે વધારી હવે ૬.૨ ટકા કર્યો છે. તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રોથ અંદાજ ૬.૩ ટકાથી વધારી ૬.૫ ટકા કર્યો છે. સ્થાનિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં સ્થાનિક માગમાં વધારો થવાની શક્યતા છે. જે ગ્રોથ એન્જિનને વેગ આપશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની ભીતિમાં ઘટાડો પણ ગ્રોથને ટેકો આપશે.






