કેન્દ્રીય
રિઝર્વ બેન્ક એટલે આરબીઆઈએ સરકારને રૅકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ
કહ્યું કે, તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારને રૂ.૨.૬૯ લાખ કરોડનું ડિવિડન્ડ
આપશે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આપવામાં આવેલા રૂ.૨.૧ લાખ કરોડથી વધુ છે. આ
પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપેલું ડિવિડન્ડ રૂ.૮૭૪૧૬ કરોડ હતું.
કેન્દ્રીય
બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને
વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે
એપ્રિલ ૨૦૨૪- માર્ચ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેન્કની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ ૨૦૨૪-૨૫
માટે રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી. આ સાથે, બોર્ડે
કેન્દ્ર સરકારને રૂ.૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી.
આ
બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે, સુધારેલ આર્થિક મૂડી માળખું (ECF) હેઠળ આકસ્મિક જોખમ બફર (CRB)ને હવે
વધારીને ૭.૫% કરાશે, જે પહેલા ૬.૫% હતું. જણાવી દઈએ કે, કોરોના મહામારીના સમયે
આરબીઆઇની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખતા ૫.૫%નો CRB જાળવી રાખ્યો હતો, જેને
ગત બે વર્ષમાં તબક્કાવાર ૬% અને ૬.૫% સુધી વધારાયો હતો.
આરબીઆઇ પોતાના આર્થિક મૂડી માળખા (ECF)ના આધારે સરકારને ડિવિડન્ડ આપે છે. આ માળખું RBIના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટના આધારે ઑગસ્ટ,૨૦૧૯માં લાગુ કરવામાં આવ્યું હતું. જાલાન સમિતિએ આરબીઆઇના હિસાબના ૫.૫%થી ૬.૫%ને આકસ્મિક જોખમ બફર (CRB) તરીકે રાખવાની ભલામણ કરી હતી. હવે તે વધારીને ૭.૫% કરવામાં આવશે. ગયા અઠવાડિયે, RBI બોર્ડે ECFની સમીક્ષા કરી. આ આધારે ફક્ત સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.






